Gujju Bits

મરીઝ (અબ્બાસ વાસી)

5th July 2008

મરીઝ (અબ્બાસ વાસી)

એમના ‘આગમન’ નામનાં ગઝલસંગ્રહમાં મરીઝ સ્વયં લખે છે-
“ગઝલ ક્ષેત્રમાં હું મહામહેનતે ગોઠવાયો છું : એક તો ઓછું ભણેલો, ભાષા, વ્યાકરણ અને જોડણીનું
ખાસ જ્ઞાન નહીં, માત્ર ઊર્મિ, સંવેદન, અનુભૂતિ અને અવલોકનનાં બળ પર ગઝલોનું મેં સર્જન કરેલું છે.”
ગુજરાતનાં આટલા મહાન કલાકારની આ કેવી વિનમ્રતા, કેવી નિખાલસતા! તેઓ ગઝલ વિશે કહે છેઃ

હો ગુર્જરીની ઓથ કે ઉર્દૂની ઓ મરીઝ,
ગઝલો ફક્ત લખાય છે દિલની જુબાનમાં.

એ જ માણસ પછી કહી શકે કેઃ

મરણ કે જીવન હો એ બન્ને સ્થિતિમાં,
મરીઝ એક લાચારી કાયમ રહી છે.
જનાજો જશે તો જશે કાંધે કાંધે,
જીવન પણ ગયું છે સહારે સહારે.

જો મેં એમની હયાતીમાં ત્યારે સાંભળ્યો હોત તો કે’તઃ
ક્યા બાત હૈ, મરીઝ! પેન તોડી નાખ, ને પાટી ફેંકી દે. તેં તારી જિંદગીનો આખરી શેર લખી લીધો છે.

પણ આપણાં નસીબ સારાં કે મારી ત્યારે હયાતી નો’તી તે આપણને એમની બીજી કેટલીય સારી સારી
ગઝલો મળી છે!  એમાંની એક નીચે પ્રસ્તુત છેઃ

એવો કોઈ દિલદાર જગતમાં નજર આવે,
આપી દે મદદ કિંતુ ન લાચાર બનાવે.

હમદર્દ બની જાય જરા સાથમાં આવે,
આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે!

શું એને ખબર, કોની નજર પ્યાસી રહી ગઈ?
જે ભેજમાં ચાલે અને પાલવ ન ઉઠાવે.

એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.

કોઈ પ્રેમીથી તમારા વાતોની કલા લ્યે,
એક વાત કરે એમાં ઘણી વાત છુપાવે.

રડવાની જરુરત પડે ત્યાં સૂકાં નયન હો,
ને હસતો રહું ત્યાં જ જ્યાં હસવું નહી આવે.

છે મારી મુસીબતનું ‘મરીઝ’ એક આ કારણ,
હું મુજથી રુઠેલો છું, મને કોણ મનાવે?

અશ્વિન મહેતા ઉર્ફે ‘નાની’એ આ ગઝલના ચુનંદા શેરો લઈ એને પોતાના અવાજમાં સરસ રીતે મઢ્યું છે.
વખત મળ્યે એની MP3 File અહીં પોસ્ટ કરીશ, આપના મનોરંજન માટે.

પરેશ
તા. ૫ જુલાઇ, ૨૦૦૮

posted in Gujarati, poems | 0 Comments